અષાઢી બીજ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય જ છે. આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદની રથયાત્રા (અને દેશના અલગ અલગ શહેરોમાં થતી રથયાત્રા તો ખારીજ) પરંતુ સાથે સાથે આ દિવસે કચ્છીઓ અને જાડેજા નું નવું વર્ષ પણ છે.
સમગ્ર ભારતના અલગ અલગ પ્રાંતમાં, ધર્મમાં તથા સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ ઘટના, કોઈના આગમન, કે ઈશ્વર તત્વના જન્મની કે પછી પાકની વાવણી તથા લણની અલગ અલગ ઘટના ને ધ્યાનમાં રાખીને નવા વર્ષની ઉજવણી થાય છે. એજ રીતે કચ્છના નવા વર્ષ અને ત્યાં સ્થપાયેલ જાડેજા વંશનું આ નવું વર્ષ છે. તેમની વાતો અને ઈતિહાસ ઘણો રસપ્રદ છે.
જાડેજા વંશની ઉત્પત્તિ વિષે વાત કરીએ તો યાદવ કુળમાં આઠમી પેઢીએ શ્રી કૃષ્ણનો જન્મ થયેલો. તેમના પૌત્ર અનિરુધ અને બાણાસુરની પુત્રી ઓખાના લગ્ન થયેલા. તેમના દ્વારા જન્મેલ પુત્ર એટલે કે શ્રી કૃષ્ણનો પપોત્ર નામે વ્રજનાભના વંશ માંથી જાડેજાઓ ની ઉત્પતિ થાય છે. આ વાતના પુરાવા શ્રીમદભગવત, હરિવંશ અને મહાભારતમાંથી મળે છે.
જાડેજા વંશના પૂર્વજો સિંધ દેશમાં રહેતા પરંતુ ત્યાં મુસ્લિમ સભ્યતાનો ઉદય અને સમા અને સુમરા રાજપૂતોના કનડગત ને લીધે તેમની નજર કચ્છ પ્રદેશ તરફ હતી. ત્યારે જામ ઉન્નડની છઠ્ઠી પેઢીએ થયેલા ‘જામ જાડો’ ગાદી પર આવ્યા. પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી ભાઈ વેરેજીના પુત્ર લાખાજીને દતક લીધો. ઘણા વર્ષો પછી જામ જાડાને ઘેર કુવાર ઘાનો જન્મ થયો. મોટા થયા પછી જામ લાખાજી અને કુવાર ઘા વચ્ચે તકરાર થતા. જામ લાખાજી પોતાના જોડિયા ભાઈ લાખીયાર સાથે રણની પેલે પાર પોતાનું નસીબ અજમાવવા કચ્છ પ્રદેશ તરફ વળ્યા.